Sardar Patel and Jamnalal Bajaj
સરદારશ્રીના જીવનને લગતી એક ઘટના જે ૧૯૩૭માં ઘટેલ તેમાં મુખ્યત્વે શ્રી જમનાલાલ બજાજની ગેરસમજના કારણે બન્નેને થયેલ ભારે મનદુ:ખ એ એક મહત્વની ઘટનાઓમાંની એક છે. આ ગેરસમજ મુખ્યત્વે નરીમાન પ્રકરણમાંથી ઉપજેલ. સમયાંતરે સ્પષ્ટીકરણ થતાં બન્ને વચ્ચે તે મનદુ:ખ પણ ઊડી ગયેલ. નરીમાન તરફી પત્રોએ એવો પ્રચાર ચાલ્યો હતો કે તેના વંટોળમાં ભલભલા સપડાયા. સરદારશ્રીના પીઠબળ વગર નરીમાન મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બની શકે તેમ નહોતું. અને આ કારણે જ તેમણે સરદારશ્રી પાસે મદદ માંગેલી. કેંદ્રીય ધારાસભાની ચુંટણી સમયે નરીમાન મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોવા છતાં મહાસભાના સત્તાવાર ઉમેદવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી અને તેથી જ મહાસભાને તે જગ્યા ગુમાવવી પડી હતી. અને એટલે સરદારશ્રીએ પોતાનો ટેકો નરીમાનને આપ્યો નહોતો. જે વિરોધીઓ કહેતા થાકતા નહોતા કે સરદારશ્રીએ કાવાદાવા કરીને નરીમાનને મુખ્યપ્રધાન બનવા ન દીધા તે વાતોને રદીયો બહાદુરજીના નિશંકપણે આપેલ ચુકાદાથી મળ્યો. ૧૯૩૭-૩૮માં નરીમાન પ્રકરણ જે રીતે ચાલેલું તે જોતાં તો બીજો કોઈ સામાન્ય માણસ સરદારશ્રીના સ્થાને હોત તો તે ઝુંબેશ સામે ટકી શક્યો ન હોત. તે સમયે તો સરદારશ્રીના જાહેરજીવનને પણ તોડી પાડવા અનેક કાવાદાવાઓ થયેલા અને સરદારશ્રીના કાગળો, તાર સુદ્ધા પણ મેળવવાના પ્રયત્નો કરવામાં આવેલા. હકીકતમાં તો બિનકોંગ્રેસી ઉમેદવાર કાવસજી જહાંગીરના કારણે કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હતી.
![]() |
Sardar Patel & Jamnalal Bajaj |
કાવસજી જહાંગીર બાબતે એક નોંધપાત્ર વાત જાણવા જેવી ખરી કે તે વર્ષ ૧૯૪૬માં કેંદ્રીય ધારાસભાના પ્રમુખપદ માટે શ્રી માવળંકર સામે ઊભા થયા હતા અને તેમણે રાષ્ટ્રીય કટોકટી સમયે મુસ્લીમ લીગનો ટેકો મેળવ્યો હતો.
પોતાના ભાઈ જેવા જમનાલાલજીની ગેરસમજથી સરદારશ્રીને ઊંડો ઘા લાગ્યો હતો અને જમનાલાલજીનો રસ્તો ખુલ્લો કરી દેવા માટે એમણે ગાંધી સેવા સંઘમાંથી પણ મુક્ત થવાનું ઠરાવ્યું હતુ. તે દિવસો દરમ્યાન સરદારશ્રી અંગત રીતે એક કટોકટી ભરી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા. છાપાંઓમાં નરીમાન અને ખરે પ્રકરણને લઈને એમની સામે વંટોળ ઊભો થયો હતો. અને બાપુની ખાસ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા તેમાં ઘર ફુટ્યા જેવી સ્થિતિ ઊભી થયેલ હતી. તેમ છતાં તેમણે પોતાના મન ઉપર કાબુ રાખ્યો અને જમનાલાલજી પ્રત્યેની હમદર્દી જાળવી રાખી. સરદારશ્રીની મિત્રો પ્રત્યેની ગજબની વફાદારી અને મિત્રોની ગેરસમજોના કારણે દુ:ખ થાય તો પણ મૂંગે મૂંગે સહન કરી મિત્રો પ્રત્યે મમતા મનમાં રાખી હતી.
![]() |
Azad, Jamnalal Bajaj, Sardar Patel, Bose |
નરીમાન પ્રકરણથી શ્રી જયંતીલાલ અમીન અંગે એક નવો ફણગો ફુટ્યો હતો, સરદારશ્રીને ફસાવવા નરીમાનના હિમાયતીઓ કેટલી હદ સુધી પહોચી ગયા હતા તે જયંતીલાલના તા. ૨૫-૧૧-૧૯૩૮ના પત્ર પરથી સમજી શકાય અને સરદારશ્રીએ આ પત્ર જવાબ આપતો વળતો પત્ર તા. ૨૮-૧૧-૧૯૩૮ના રોજ લખેલ હતો તે જાણવા જેવો છે.
ફોટો સૌજન્ય : http://www.jamnalalbajajfoundation.org/
No comments
Post a Comment